બંધારણમાં 27મા સુધારાને સંસદે આપેલી બહાલીને પગલે પાકિસ્તાનના સર્વસત્તાધીશ બની બેઠેલા આર્મી ચીફ અસિમ મુનિર આજીવન ફિલ્ડ માર્શલ પદે રહેશે. કોઈપણ લોકતાંત્રિક વ્યવસ્થામાં સંભવ ન બની શકે એવું પગલું મુનિરે નબળી સરકારની મદદથી લીધું છે અને બળવો કર્યા વિના ચૂંટાયેલી સરકાર કરતાં વધુ અને અમર્યાદ સત્તા હસ્તગત કરી લીધી છે. સશસ્ત્ર દળો તથા અન્ય બાબતો વિશેની બંધારણની કલમ 243માં સુધારો કરી મુનિર ચીફ અૉફ ડિફેન્સ ફૉર્સિસ (સીડીએફ) બન્યા છે અને દેશનાં પાયદળ, વાયુસેના અને નૌકાદળના સર્વોચ્ચ સત્તાધીશ બની બેઠા છે. આ સાથે જ સીડીએફને નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડના વડા નીમવાની સત્તા રહેશે એટલે કે પાકિસ્તાનના પરમાણુ કમાન પર પણ તેમનું નિયંત્રણ રહેશે. આ ઓછું હોય તેમ, ફેડરલ કૉન્સ્ટિટ્યુશનલ કોર્ટની રચના કરવા સાથે હાઈ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર કરવાના અધિકાર પણ તેમને રહેશે. સર્વોચ્ચ અદાલતનું પણ તેમણે વિભાજન કર્યું છે. પાકિસ્તાનમાં હવે બે ચીફ જસ્ટિસ હશે. જોકે, એ સ્પષ્ટ નથી કે દેશના ખરા મુખ્ય ન્યાયાધીશ કોણ હશે. પાકિસ્તાને છેલ્લા સાત દાયકામાં એકથી વધુ વાર આર્મીના વડાને સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લઈ લેતા જોયા છે, પણ મુનિરે જે રીતે બળવો કર્યા વિના સર્વ સત્તા પોતાના હસ્તક લઈ લીધી છે એ અભૂતપૂર્વ છે. મુનિરને બાજિંગનું પીઠબળ પહેલેથી છે અને વાશિંગ્ટનના સતત બદલાતા અભિગમને પગલે ભારતની ચિંતા વધી છે.
ઝિયા ઉલ હકે આર્મીની
મદદથી બળવો કરી વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ધરપકડ કરાવી 1977માં પાકિસ્તાનની
સત્તા હસ્તગત કરી હતી તથા મિલિટરીની બાબતોમાં ન્યાયતંત્રના હસ્તક્ષેપને અટકાવ્યો હતો.
મુનિરે પણ આ બધું જ કર્યું છે, ફરક માત્ર એટલો છે કે બળવો કર્યા વિના કે વડા પ્રધાનને
સત્તા પરથી ઉથલાવ્યા વિના તેમણે આ હાંસલ કર્યું છે. મુનિરે બાહોશ અને અઠંગ રાજકારણીને
શરમાવે એ રીતે આખી બાજી ગોઠવી છે. વડા પ્રધાન શાહબાઝ શરીફ પાસે મુનિરના ઈશારે ચાલવા
સિવાય કોઈ વિકલ્પ નથી, પણ દેશના રાષ્ટ્રપતિ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના આસિફ અલી ઝરદારી
આ યોજનામાં ફાચર ન મારે એ માટે મુનિરે એવો ફેરફાર કરાવ્યો છે કે રાષ્ટ્રપતિ સામે આજીવન
કાયદાકીય પગલું લઈ શકાય નહીં. અત્યાર સુધી વ્યક્તિ આ પદ પર હોય એ દરમિયાન જ આ ઈમ્યુનિટી
મળતી હતી. આ સાથે જ ફિલ્ડ માર્શલના પદ પરની વ્યક્તિને રાષ્ટ્રપતિ જેવા વિશેષાધિકાર
આજીવન મળે એવું પણ કર્યું છે.
ભુટ્ટોને ઉથલાવી
ઝિયા સત્તા પર આવ્યા ત્યારે લોકપ્રિય નેતૃત્વને હટાવવાને કારણે વિરોધ થયો હતો, પણ મુનિરે
પાકિસ્તાનના નબળા અને કૌભાંડી રાજકારણીઓને ટુકડા ફેંકી ખંડિયા બનાવી નાખ્યા છે. ઈમરાન
ખાન જેલમાં છે અને તેમના રાજકીય પક્ષને પહેલાં જ પાંગળો કરી દેવાયો હોવાથી મુનિરનાં
પગલાંના વિરોધની શક્યતા આછીપાતળી છે. પાકિસ્તાનમાં લોકશાહી મૂલ્યોનું આ નવું તળિયું
છે અને ભવિષ્યમાં તે હજી વધુ નીચે જાય તો આશ્ચર્ય નહીં રહે.