• શનિવાર, 27 એપ્રિલ, 2024

રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદનું નિધન

વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, તા. 27 : રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદનું મંગળવારે નિધન થઈ ગયું છે. તેમણે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સ્વામી સ્મરણાનંદ 2017માં ઓર્ડરના 16મા પ્રમુખ બન્યા હતા. મિશને તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પવિત્ર પ્રમુખ સ્વામી સ્મરણાનંદજી મહારાજે મંગળવારે રાત્રે 8.14 કલાકે મહાસમાધિ લીધી. 29 જાન્યુઆરીએ જ્યારે તેમની તબિયત બગડી, ત્યારે સ્વામી સ્મરણાનંદને રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જેના કારણે તેમને ત્રણ માર્ચે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ' પર લખ્યું કે, સ્વામી સ્મરાનંદ મહારાજે પોતાનું જીવન આધ્યાત્મિકતા અને સેવા માટે સમર્પિત કર્યું. તેમણે અસંખ્ય હૃદય અને દિમાગ પર અમીટ છાપ છોડી. તેમની કરુણા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. મોદીએ આગળ લખ્યું કે, મારી તેમની સાથે ઘણા વર્ષોથી ખૂબ ગાઢ સંબંધ હતા. મને 2020માં બેલૂર મઠની મારી મુલાકાત યાદ છે, જ્યારે મેં તેમની સાથે વાતચીત કરી હતી. થોડા અઠવાડિયા પહેલાં હું કોલકાતાની હોસ્પિટલમાં પણ તેમની તબિયત પૂછવા ગયો હતો. મારી સંવેદના બેલૂર મઠના અસંખ્ય ભક્તો સાથે છે. 

શ્રદ્ધાંજલિ આપતાં ભાજપના ધારાસભ્ય શુભેન્દુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ' પર લખ્યું કે, ભગવદ ગીતામાં કહેવામાં આવ્યું છે કે, આત્મા તો જન્મે છે અને તો મૃત્યુ પામે છે. સ્વામી સ્મરણાનંદ રામકૃષ્ણ મઠ અને મિશનના 16મા પ્રમુખ હતા. તેમણે સ્વામી આત્મસ્થાનંદના મૃત્યુ પછી 17 જુલાઈ 2017ના પ્રમુખ પદ સંભાળ્યું. સ્વામી સ્મરણાનંદનો જન્મ 1929માં તમિલનાડુના તંજાવુરના અંદામી ગામમાં થયો હતો. રામકૃષ્ણ સંપ્રદાય સાથે તેમનો પ્રથમ સંપર્ક 20 વર્ષની ઉંમરે થયો હતો. 22 વર્ષની ઉંમરે તેણે મઠનું જીવન અપનાવ્યું.