કંગના રનૌત અને મમતા બેનરજી અંગે અભદ્ર નિવેદન
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 27 : લોકસભા ચૂંટણીના જામેલા માહોલ વચ્ચે નેતાઓની જીભ લપસવાનો સિલસિલો જારી રહ્યો છે. ચૂંટણીપંચે અનેકવાર ચેતવણી આપ્યા છતાં નેતાઓના આપત્તિજનક નિવેદનો સામે આવતા રહે છે. તેવામાં અભદ્ર ટિપ્પણીઓ બદલ ચૂંટણીપંચે બુધવારે કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેત અને ભાજપ નેતા દિલીપ ઘોષને નોટિસ ફટકારી હતી.
એક મીડિયા હેવાલ મુજબ, ચૂંટણીપંચે જારી કરેલી નોટિસમાં સુપ્રિયા શ્રીનેતને અને દિલીપ ઘોષ સામે કાર્યવાહી શા માટે ન થાય તેનો ખુલાસો કરવા શુક્રવાર સુધીનો સમય અપાયો હતો. જો બંને નેતા તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં આવે તો પંચ આગળની કાર્યવાહી હાથ ધરશે.
દિલીપ ઘોષે કહ્યું કે, મારી મમતા બેનર્જી સાથે વ્યક્તિગત લડાઈ નથી. આ એક રાજકીય નિવેદન હતું. તેમ છતાં મારી ભાષા માટે દુ:ખ વ્યક્ત કરું છું.નોંધનીય છે કે, સુપ્રિયાએ લોકસભા બેઠકના ઉમેદવાર અને અભિનેત્રી કંગના વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર પોસ્ટ મૂકી હતી, તો દિલીપ ઘોષે એક સભામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની પારિવારિક પૃષ્ઠભૂમિ પર અભદ્ર નિવેદન કર્યું હતું. આ બંને મુદ્દે રાજકીય ઘમસાણ સજાર્યું છે.