નવી દિલ્હી, તા. 28 : ભાજપ નેતા વરુણ ગાંધીએ ગુરુવારે પીલીભીતના લોકોનાં નામે એક પત્ર લખ્યો હતો. આમ તો પત્રમાં એમ જ કહેવામાં આવ્યું છે કે તેમનો પીલીભીતથી સંબંધ નજીકનો છે અને હંમેશાં અહીંયાના લોકો સાથે રહેશે. જો કે પત્રના અંતમાં વરુણે પોતાનું દુ:ખ પણ વ્યક્ત કરી દીધું છે. જેને લઈને સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. વરુણ ગાંધીએ લખેલા પત્રમાં ભાવુક વાતો છે. પત્રમાં પીલીભીતથી ટિકિટ કેમ ન મળી તેનો પણ સંકેત આપ્યો છે. વરુણ ગાંધીએ લખ્યું છે કે તેઓ રાજનીતિમાં સામાન્ય લોકોની સમસ્યા અને દુ:ખ ઉઠાવવા આવ્યા છે. તેઓએ કહ્યું છે કે પીલીભીતના લોકો માટે અવાજ ઉઠાવતા રહેશે. ભલે કોઈપણ કિંમત ચૂકવવી પડશે.
હકીકતમાં કિંમત ચૂકવવાનો ઉલ્લેખ અઢી વર્ષ પહેલા પીએમને લખેલા પત્રમાં પણ કરવામાં આવ્યો હતો ત્યારે પત્રમાં વરુણે કૃષિ કાનૂન પરત લેવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. આ સાથે એમએસપી ઉપર નિર્ણય લેવા, મૃતક 700 કિસાનોને વળર વગેરે માગ કરવામાં આવી હતી. આ માગ વિપક્ષી નેતાઓ દ્વારા પણ કરવામાં આવી રહી હતી. આ પત્રનાં કારણે કેન્દ્રીય નેતૃત્વ અને વરુણ વચ્ચેનો ટકરાવ વધી ગયો હતો.