ખાલિસ્તાનીઓનો ગાળિયો કસાયો
ભારત ક્યારેય નહીં આવી શકે
નવી દિલ્હી, તા. 24 : ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચાલુ છે તે દરમ્યાન મીડિયા અહેવાલો અનુસાર ભારત સરકાર કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં હાજર ખાલિસ્તાની આતંકવાદીઓને ઓળખવાની અને તેમના `ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા' (ઓસીઆઈ) કાર્ડને રદ કરવાની તૈયારી કરી રહી છે.
સરકારનાં આ પગલાં બાદ આ આતંકીઓ ભારત આવી શકશે નહીં. સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સરકારે વિદેશમાં રહેતા આતંકવાદીઓની સંપત્તિની ઓળખ કરવાનો પણ આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ એનઆઈએએ ચંડીગઢ અને અમૃતસરમાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુની મિલકતો જપ્ત કરી હતી. કાયદેસર રીતે આ મિલકત હવે સરકારની છે.
સરકારની કડકાઈના અહેવાલો વચ્ચે એનઆઈએએ ખાલિસ્તાની સમર્થકોની નવી યાદી બહાર પાડી હતી. આ યાદીમાં પરમજિત સિંહ પમ્મા, કુલવંત મુઠડા, સુખપાલ સિંહ, સરબજિત બેનુર, કુલવંત, ગુરપ્રીત સિંહ, હરજાપ, હરપ્રીત સિંહ, રણજિત નીતા, ગુરમીત સિંહ, જસમીત હકીમઝાદા, ગુરજંત ધિલ્લોન, લખબીર રોડે, અમરદીપ પુરેવાલ, જતીન્દર ગ્રેવાલ, દુપીંદર જીત, એસ. હિંમત સિંહ, વાધવા સિંહ (બબ્બર ચાચા) અને જે ધાલીવાલના નામ સામેલ છે.