• સોમવાર, 19 મે, 2025

આક્રમણમાં વિલંબ નહીં, વ્યૂહ છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાની આતંકવાદીઓને મિટ્ટી મેં મિલા દેંગે - એવી ઘોષણા વારંવાર કરી હોવા છતાં બદલાની કાર્યવાહી થઈ નથી એવી ટીકા કૉંગ્રેસની કારોબારી સમિતિએ કર્યા પછી વિપક્ષમાં બેઠેલા કૉંગ્રેસી અને અન્ય પક્ષોના નેતાઓ જોશમાં આવી ગયા છે અને વડા પ્રધાન ઉપર ટીકા પ્રહારો કરી રહ્યા છે. 54 ઇંચની છાતી અને રફાલ વિમાનનું રમકડું બતાવીને પબ્લિસિટી મેળવતા આ નેતાઓની વફાદારી ભારત અને આપણા સશત્ર દળો માટે ગૌરવ હોવા વિષે શંકા થાય છે.

કૉંગ્રેસના પ્રવક્તા કહે છે કે, કૉંગ્રેસપ્રમુખે તમામ કૉંગ્રેસીઓને ભાષાનો સંયમ જાળવવા જણાવ્યું છે. એજન્સીઓની નિષ્ફળતા છતાં આતંકવાદ સામે સરકાર જે નિર્ણય કરે તેને સમર્થન આપવાની ખાતરી પણ અપાઈ છે. આમ છતાં કારોબારીની બેઠકમાં જ આતંકવાદીઓ ઉપર પ્રહાર થતા નથી એમ કહીને ટીકા થઈ. આ પછી ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખે રફાલ વિમાનનું રમકડું હાથમાં રાખીને રમવા લાગ્યા! વિમાન ઉપર લીંબુ-મરચાં ટાંગીને આપણી સંસ્કૃતિની મજાક ઉડાવી. કૉંગ્રેસ પક્ષ અને નેતાઓને આ શોભે છે?

રફાલ વિમાનોના સોદા - કરાર થયા ત્યારે રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર - ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરીને બોફોર્સનો બદલો લેવાના બાલિશ પ્રયાસ કર્યા હતા અને અત્યારે દુશ્મન જ્યારે ભારતની ભાગોળે - સરહદ ઉપર ઊભા છે તેને યોગ્ય જવાબ આપવા આપણા સશત્ર દળો સજ્જ છે ત્યારે એમનો જુસ્સો અને જનતાનો વિશ્વાસ તોડવાના પ્રયાસ થાય ત્યારે આ નેતાઓની ‘દેશભક્તિ’ ઉપર શંકા જાગે તે સ્વાભાવિક છે. શંકા જાગવી જ જોઇએ. કૉંગ્રેસપ્રમુખ અને રાહુલ ગાંધીએ ભારતીય સેનાની માફી માગવી જોઇએ.

ભારતીય સેના દ્વારા આક્રમણમાં વિલંબનો સવાલ છે, સવાલ પૂછાઈ રહ્યા છે ત્યારે આ વિપક્ષી નેતાઓને ભારતના વિજયની ચિંતા છે કે દુશ્મનના પરાજયની? એમ પૂછવું પડે છે. વડા પ્રધાન મોદીએ તો આક્રમણની પૂરી સત્તા - સમય - સ્થળ વગેરે નક્કી કરવાની સત્તા સેનાની ત્રણે પાંખોના વડાઓને આપી છે. અલબત્ત - એમના નિર્ણયની જાણ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને કરવામાં આવશે અને પછી જ અમલ થશે. રાષ્ટ્રપતિ આપણા સશત્ર દળોના કમાંડર ઇન ચીફ - છે. આટલું તો રાહુલ ગાંધી અને એમના પક્ષના નેતાઓ જાણતા હશે અને જાણતા હોય નહીં તો સંવિધાનની લાલબુક પકડીને હાથ હલાવે છે - તો પાનાં ફેરવી જુઓ... ભારત સરકારે ડિપ્લોમેટિક આક્રમણ તો ક્યારનું શરૂ કરી દીધું છે અને તેની અસર પણ જોવા મળે છે. પાકિસ્તાન ફફડી રહ્યું છે. અમેરિકા પછી હવે તુર્કીને કહે છે - બચાવો - બચાવો. તેને ચીન ઉપર ભરોસો છે પણ ચીનાઓ કાચા નથી. પાકિસ્તાનની લડાઈમાં જોડાઈને ભારત સામે મોરચો ખોલવા તૈયાર નહીં થાય. જાણે છે કે રશિયા પણ ભારત સાથે છે. પુતિને મોદીને ફોન કરીને કહ્યું છે કે, ગુનેગારોને સજા થવી જ જોઇએ. અમે ભારત સાથે જ છીએ. આ પછી હવે ચીન પાકિસ્તાનને થાબડશે પણ તેથી વિશેષ કાંઈ નહીં.

આક્રમણના નામે દુશ્મનને અદ્ધર શ્વાસે રાખવાનો વ્યૂહ મહત્ત્વનો હોય છે અને અત્યારે આપણે આક્રમણના સમય અને સ્થળ વિષે જાહેરાત કરવાની મૂર્ખાઈ કરીએ જ નહીં. કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો જાણીબૂઝીને વડા પ્રધાન અને સેનાને ઉશ્કેરવા માગે છે! પણ આપણે જે પગલાં ભર્યાં છે - જેલમ - ચિનાબનું પાણી બંધ, વ્યાપાર બંધ - તેના હાઈ કમિશનરને ભારત છોડવાનું ફરમાન તથા વ્યાપાર સંપૂર્ણ બંધ - ઉપરાંત આપણા શત્ર સરંજામ બનાવતી ફૅક્ટરીઓમાં કર્મચારીઓને લાંબી રજા ઉપર ઉતરવા ઉપર નિયંત્રણ - વગેરે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી છે - ધમકી છે જ. પાકિસ્તાનમાં ફફડાટ છે છતાં બબડાટ કરે છે તેની મજાક ઉડાવવાને બદલે આપણા વિરોધી નેતાઓ વડા પ્રધાન અને ભારતીય સશત્ર દળોની મજાક ઉડાવી રહ્યા છે, પણ આ એમની જૂની આદત છે!