પાકિસ્તાનને આખરે ખુદકુશીનો માર્ગ પકડયો છે. ભારતનાં શહેરો અને લશ્કરી મથકો ઉપર નિષ્ફળ ડ્રૉન હુમલાથી શરૂઆત કરી છે અને જવાબમાં ભારતે તેની ઍર ડિફેન્સ સિસ્ટમ નેસ્તનાબૂદ કરી છે. લાહોર, કરાચી અને રાવલપિંડીમાં હુમલા કરીને ભારે તારાજી સર્જી છે.
અૉપરેશન સિંદૂરમાં હવે એસ-400 સુદર્શન
ચક્ર ઍર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમે દુશ્મનના ડ્રૉન અને મિસાઇલ હુમલાને ખતમ - નાકામિયાબ
બનાવ્યા છે. હવે કાટમાળ એકઠો કરીને વિશ્વના દેશોને આતંકવાદના પુરાવા - બતાવાશે.
પાકિસ્તાનના આક્રમણને નિષ્ફળ કરીને ભારતે
પાકિસ્તાનને બેનકાબ કર્યું છે. ભારત ઉપર આતંકી હુમલા કરનારા જૈશ-એ- મોહમ્મદ અને લશ્કર-એ-તોઇબાના
અડ્ડાઓ નાબૂદ કર્યા છે.
લડાઈ વિસ્તારવાનું દુ:સાહસ કર્યા પછી પાકિસ્તાનની
ઓળખ - આતંકવાદી દેશ - સાબિત થઈ ચૂકી છે. ભારતે આતંકવાદી અડ્ડાઓ ઉપર હુમલા કરીને સંખ્યાબંધ
આતંકીઓને ઠાર માર્યા પછી તાબૂત, કફન ઉપર પાકિસ્તાની ઝંડા લપેટીને સૈનિકોએ કફન ઉઠાવ્યાં.
આતંકીઓને `શહીદ' બનાવ્યા તે પછી દુનિયાને કોઈ વધુ પુરાવાની જરૂર નથી. ભારતના હુમલામાં
નાગરિકો મૃત્યુ પામ્યાં હોવાનો તેમનો દાવો પણ પાંગળો પુરવાર થયો છે.
આતંકી - આક્રમણ પાકિસ્તાનને બેનકાબ કરવા
માટે ભારતીય સશત્ર દળોના કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહે મીડિયા-પ્રેસ કૉન્ફરન્સમાં
વિગતવાર માહિતી આપી છે. વિશેષ કરીને પાકિસ્તાને કાશ્મીરમાં ગુરુદ્વારા ઉપર હુમલા કરીને
શીખ સમાજના ત્રણ સભ્યોના જાન લીધા. જે પંદર શહેરો ઉપર નિષ્ફળ હુમલા થયા તેમાં મોટા
ભાગે પંજાબનાં શહેરો છે. આ શહેરોમાં અવંતીપુર, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા,
જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંડીગઢ, નાલ, ફલૌદી, ઉત્તરલાઈ અને ભુજનો સમાવેશ થાય
છે.
ભારતની ઇચ્છા યુદ્ધ વિસ્તારવાની નથી. હુમલા
માત્ર આતંકી અડ્ડાઓ ઉપર કરવામાં આવ્યા અને તેની વિગતવાર માહિતી વિદેશી એલચીઓ - પ્રતિનિધિઓને
આપવામાં
આવી છે. હવે યુદ્ધ વિસ્તારવા માટે પાકિસ્તાન
જવાબદાર, અપરાધી છે એ પુરવાર થયું છે. એક વાત નિશ્ચિત છે કે ભારત વધુ આક્રમક બનશે અને
યુદ્ધ બંધ કરવાની પહેલ પાકિસ્તાને કરવી પડશે.
પાકિસ્તાને વિધિસર યુદ્ધની જાહેરાત કરી
નથી પણ ભારતની સરહદ ઉપર, સેના ઉપર તથા નાગરિકો ઉપર હુમલા - આક્રમણ શરૂ કર્યું છે ત્યારે
ભારતે સજ્જડ વળતો જવાબ પણ આપીને ચેતવણી - ધમકી આપી છે કે ભારત તંગદિલી અને લડાઈ વધારવા
માગતું નથી અને તેથી હુમલા માત્ર આતંકવાદીઓના અડ્ડા ઉપર થયા છે પણ પાકિસ્તાને ભારતનાં
પંદર શહેરો ઉપર ડ્રૉન અને મિસાઇલ્સથી હુમલા કર્યા તે ભારતે નિષ્ફળ કર્યા છે. પાકિસ્તાન
લડવા જ માગે છે તો જવાબ આપવા ભારત તૈયાર છે. લાહોર, કરાચી અને પાકિસ્તાની સેનાના હેડ
ક્વાર્ટર-ગઢ ગણાતા રાવલપિંડીની ઍર ડિફેન્સ સિસ્ટમને ભારતે છિન્નભિન્ન - ખતમ કરી નાખી
છે. હવે આખરી ચેતવણી આપી છે કે હવે લડાઈ વિસ્તારવાની શરૂઆત પાકિસ્તાને કરી છે તો અંત
પણ તેણે જ કરવો પડશે. અર્થાત્ પાકિસ્તાન `તૌબા તૌબા' પોકારીને લડાઈ બંધ નહીં કરે ત્યાં
સુધી ભારતના હાથે માર ખાશે અને દયાની ભીખ માગશે. રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમને પણ
આ હુમલામાં નુકસાન થયું છે અને પાકિસ્તાન ટી-20 લીગની મૅચ રદ થઈ છે અને ખેલાડીઓને અન્યત્ર
ખસેડાયા છે.
ભારતે આક્રમક, સફળ હુમલા કર્યા પછી મોટું
યુદ્ધ શરૂ થવા છતાં આપણાં શૅરબજારો તૂટી પડયાં નથી. અન્ય બજારોમાં ભાવ - ભડકો થયો નથી.
લોકો ગભરાટમાં ભાગમ ભાગ કરતા નથી - કારણ કે લોકોને આપણી સેના અને સરકાર ઉપર પૂર્ણ ભરોસો
છે. વળી, મોદી સરકારે અચાનક નિર્ણય લેવાને બદલે પહેલગામના હુમલા પછી દેશને વિશ્વાસમાં
લીધો છે. બદલો લેવાની ખાતરી આપી છે. વિપક્ષ વિશેષ કરીને કૉંગ્રેસના નેતાઓએ સમર્થન આપવાનું
વચન આપીને વિશ્વાસઘાત કર્યો છે. સેના અને લોકોનો વિશ્વાસ ડગાવીને તોડવાના પ્રયાસ કર્યા
પણ નિષ્ફળ ગયા.
પાકિસ્તાનમાં હાલત વિપરીત છે. સરકાર અને
સેનામાં વિશ્વાસ નથી. વિરોધ અને તિરસ્કાર છે. શૅરબજાર કડડભૂસ છે અને દાણા બજારમાં ભાવ
વધે છે - નાણાં નથી. ભાજપના નેતાએ દાવો કર્યો છે કે આઈસી-814 ફ્લાઇટના અપહરણકર્તા અબ્દુલ
રઉફ અઝહરનો સફાયો થઈ ગયો છે. સંયુક્ત રાષ્ટ્રોએ જેમને આતંકવાદી જાહેર કર્યા છે એવા
અનેક આતંકીઓ પણ અૉપરેશન સિંદૂરમાં માર્યા ગયા છે.
પાકિસ્તાનના અર્થતંત્રની હાલત જોતાં ભારત
સામે જંગે ચડીને બરબાદી નિશ્ચિત છે ત્યાં રાજકીય અસ્થિરતા, શાસનનો અભાવ અને ભ્રષ્ટાચારના
કારણે અર્થતંત્ર કંગાળ છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે 2023ના જુલાઈમાં ત્રણ બિલિયન
ડૉલરની લોન આપી - વિદેશી દેવાંના ડુંગર નીચે દબાયેલા અર્થતંત્રને ઉગારવા માટે 2024માં
ફરીથી એક બિલિયનની લોન આપી. વિશ્વ બૅન્કે પણ આર્થિક સુધારા કરીને અર્થતંત્રને ઉગારવા
સૂચન કર્યાં. સાઉદી અરેબિયા, આરબ અમીરાત અને ચીન જેવા મિત્ર દેશોએ મદદ કરી - પણ પાકિસ્તાનના
હાથમાં શકોરું તળિયા વિનાનું છે! હવે આવતી કાલે - આઠમીએ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની
બેઠક મળનાર છે તેમાં નવી લોનની માગણીનો વિચાર છે પણ પાકિસ્તાન જો લડાઈ વિસ્તારવા માગતું
હોય તો નવી લોનને મંજૂરી નહીં મળે.
પાકિસ્તાનની હાલત દેવાળિયા દેશ જેવી છે
ત્યારે ભારતમાં દિવાળીના ફટાકડા ફૂટે છે. સ્થળ અને સમયનો નિર્ણય લીધા પહેલાં પાકિસ્તાન
કદાચ નવી લોન મળવાની રાહ જોવા માગે છે. આમ પણ હવે સમય નથી અને બકરે કી મા આખર કબ તક
ખૈર મનાયેગી?...