• રવિવાર, 15 જૂન, 2025

સ્તબ્ધ કરનારી દુર્ઘટના; વિમાનસેવાની સલામતી સામે સવાલો

વેલકમ ટુ અૉન ધ બોર્ડ... ઍર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ એઆઇ-171માં અમદાવાદ આંતરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી એક પછી એક ચડતા પ્રવાસીને ઍરહૉસ્ટેસ દ્વારા સસ્મિત આવકાર અપાતો હશે, ત્યારે કોઇને કલ્પના સુદ્ધાં નહીં હોય કે થોડી મિનિટો પછી બધાના જીવો એકસાથે જોખમમાં આવી જવાના છે.

...ને બનાવે કેવો ભયાનક... ઊડતું વિમાન એકાએક રહેણાક વિસ્તાર પર ખાબકે ને અગનગોળામાં ફેરવાઇ જાય... ઍર ઇન્ડિયાનાં બોઇંગ 787-8 વિમાનમાં યાંત્રિક ખામી થઇ? કે કંઇ બીજું બન્યું... એ બધી વિગતોનો ઘટસ્ફોટ તપાસ પછી થશે, પરંતુ વાસ્તવિકતાને બે-ચાર પળ કોરાણે મૂકીને વિચારીએ તો મગજ બહેર મારી જાય અને ભયનું લખલખું પસાર થઇ જાય કે એકસાથે 242 જિંદગી મોતનાં મોંમાં જઇ પડે એવી તે કાળની કેવી ગોઝારી ક્ષણો હશે?  વિમાન પાછું બી.જે. મેડિકલ કૉલેજના તાલીમી ડૉક્ટરોના ક્વાર્ટર્સ અને મેસ પર ખાબક્યું, જેમાં કેટલાક નવલોહિયા તબીબોનાં મૃત્યુ ને અનેક ઘવાયા હોવાના અહેવાલ છે. રામ રાખે તેનો વાળે વાંકો ન થાય એ ઉક્તિ સાચી ઠેરવતા બનાવમાં વિશ્વાસકુમાર નામના એક પ્રવાસી ઉગરી ગયા છે.

આ વિચલિત કરનારી વિમાન દુર્ઘટનાથી ન માત્ર ગુજરાત બલકે દેશ-દુનિયામાં અરેરાટી ફેલાઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર  પટેલે યોગ્ય જ કહ્યું છે કે, આ વિભીષિકાનું વર્ણન કરવા માટે શબ્દો નથી. હતભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને વરિષ્ઠ ભાજપ નેતા વિજય રૂપાણી ઉપરાંત દેશના અગ્રણી ઉદ્યોગપતિ કાર્ગો મોટર્સના પ્રમુખ નંદા પરિવાર તેમ જ લુબીના ડિરેક્ટર સુભાષ અમીન સહિત કેટલાક જાણીતા લોકોનો સમાવેશ થાય છે. રૂપાણીના નિધનથી ગુજરાતે દિગ્ગજ અને કુશળ રાજનેતા ગુમાવ્યા છે. 

વિમાન ડૉક્ટરોના આવાસ પર ખાબક્યું હોવાથી અૉનગ્રાઉન્ડ જાનમાલની નુકસાની મોટી હોવાની ભીતિ સેવાઇ રહી છે. સત્તાવાર મરણ આંક અને બીજી વિગતો મોડેથી જાહેર થાય એવી સંભાવના છે.

એકંદરે ગુરુવારે બપોરે થયેલી ભીષણ વિમાન દુર્ઘટનાએ ભલભલાને હચમચાવી દીધા છે. 230 ઉતારુઓ અને પાઇલટ સહિત ચાલક દળના 12 સભ્ય સાથે લંડન જતા ઍર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર વિમાનના અકસ્માતે અનેકના ડ્રીમને દુ:સ્વપ્નમાં પલટી નાખ્યા છે. વિમાનને ઉડ્ડયનની ગણતરીની મિનિટમાં અકસ્માતના સંકેત આપતા પાઇલટે મેડેનો એટલે કે, જોખમનો તાકીદનો સંદેશ આપ્યો હતો, પણ આ ગમખ્વાર અકસ્માતે ભારતીય વિમાની સેવાની સલામતી વ્યવસ્થા સામે મેડેનો સીધો સંદેશ આપ્યો હોવાનું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. 

ભારતે જ્યારે વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે સંખ્યાબંધ ક્ષેત્રોની અનિવાર્યતા પણ વધી રહી છે. આમાં હવાઈ સફર મોખરાના સ્થાને આવે છે. આજે ભારતની હવાઈ સફરનું કદ વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. વર્ષે 3પ કરોડથી વધુ ભારતીય હવાઈ સફર કરે છે. 2014માં દેશમાં માત્ર 78 વિમાનમથક હતાં, જે હવે વધીને 140 થયાં છે. આમ તો નાગરિક ઉડ્ડયન વિભાગની હસ્તકનાં આ 140 વિમાનમથક ઉપરાંત રાજ્યો હસ્તકનાં અને વાયુદળ હસ્તકનાં મળીને કુલ 487 વિમાનમથક અને હવાઈપટ્ટીઓ દેશમાં છે. આજે દુનિયાની ટોચની વિમાન ઉત્પાદક કંપનીઓ ઍરબસ અને બોઈંગ પાસે ભારતીય વિમાની કંપનીઓના સેંકડો વિમાનોની ખરીદીના અૉર્ડર પડયા છે.  

આવા આકાશને આંબતા હવાઈ ક્ષેત્રના વિકાસમાં વિમાનોની સલામતી અને મેઈન્ટેનન્સનાં ધોરણોનું ચોંકાવનારું ચિત્ર સામે આવતું રહે છે. એક તરફ સ્પર્ધા અને ઉતારુઓનાં દબાણને વશ થઈને વિમાની કંપનીઓ નવાં વિમાનોની રાહ જોવાને બદલે જૂનાં વિમાનોને થાગડથીગડ ઉપયોગમાં લેતી હોવાના કિસ્સા વધી રહ્યા છે. આમાં ઍર ઈન્ડિયાનું નામ ચિંતાજનક રીતે મોખરે છે. સરકાર પાસેથી તાતા ઉદ્યોગ સમૂહે હસ્તગત કરેલી ઍર ઈન્ડિયાને નવાં વિમાનો ખરીદીને સેવા સુધારવા અને વધારવાની કમર કસી છે, પણ વિશ્વ સ્તરે વિમાની ભાગોની અછતને લીધે ઍરબસ અને બોઈંગ નવાં વિમાનોના અૉર્ડર વિલંબથી પૂરા કરે છે. પરિણામે ઍર ઈન્ડિયાએ તેના જૂના વિમાની કાફલાને ઊડતો રાખવા આકાશ-પાતાળ એક કર્યા છે, પણ આ કરવામાં તેને વિમાનોની સંભાળ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઍર ઈન્ડિયાનાં વિમાનોમાં સીટોથી માંડીને શૌચાલયોની બદતર હાલત મુસાફરો સહન કરતા આવ્યા છે, પણ વિમાન ઉડ્ડયન માટે અનિવાર્ય એવા ટેક્નિકલ ધોરણોને જાળવવામાં ઘણી વખત સામે આવતા પ્રશ્નોને લીધે ફ્લાઈટમાં વિલંબ અથવા તો રદ થવાના વધી રહેલા કિસ્સા ઍરલાઈન્સની ટેક્નિકલ ઊણપને સતત છતી કરતી આવી છે.  

અમદાવાદની દુર્ઘટનામાં ઍર ઈન્ડિયાનું બોઈંગ 787 -8 ડ્રીમલાઈનર વિમાન તૂટી પડયું છે. તેના મુખ્ય પાઇલટ આઠ હજાર કલાકના ઉડ્ડયનનો અને સહપાઇલટ 1100 કલાકના વિમાની ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવતા હતા. એક જ વખત ઈંધણ ભરીને સાત હજાર કિલોમીટર દૂર સુધી લંડન પહોંચવાની ક્ષમતા ધરાવતા આ વિમાનના અકસ્માતે હવાઈ પ્રવાસની સલામતી સામે નવા અને ગંભીર સવાલ ખડા કર્યા છે. આગામી દિવસોમાં હતભાગી વિમાનના બ્લૅક બૉક્સ અને ફ્લાઈટ ડેટા રેકોર્ડરમાંથી અકસ્માતની ખરી હકીકતોનો ખુલાસો થશે અને ખામીઓને દુરસ્ત કરવા પર ધ્યાન અપાશે. 

અમદાવાદના અકસ્માતે વિમાનમથકની આસપાસના વિસ્તારોમાં બાંધકામોની સલામતી સામે પણ ગંભીર પ્રશ્નાર્થ ખડો કર્યો છે. ઍર ઈન્ડિયાનું વિમાન તાલીમી તબીબોની હૉસ્ટેલ પર તૂટયું તેનાથી પણ ખુવારી થઈ હોવાના ગમગીન અહેવાલ આવી રહ્યા છે. રન-વેની નજીકનાં બાંધકામોમાં આમ તો હવાઈ સલામતીનાં ધોરણોનું પાલન કરાવાય છે, પણ હવે આ મામલે પણ નવેસરથી વિચાર કરવાની અનિવાર્યતા દુ:ખદ રીતે છતી થઈ છે. આવનારા દિવસોમાં હવાઈ યાત્રા વધુ સલામત બને એવાં નક્કર પગલાં લેવાય તો તે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાને સાચી અંજલિ બની રહેશે.