કાલે દિલ્હીમાં વિપક્ષની રૅલી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : દિલ્હીના મુખ્ય પ્રધાન અને `આપ'ના વડા અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે આખા વિશ્વના પ્રસાર માધ્યમોનું ધ્યાન આકર્ષિત થયું અને વિદેશી મીડિયા આપણી સરકારની ટીકા કરે તે સારી બાબત નથી એમ જણાવીને રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વડા શરદ પવારે ઉમેર્યું છે કે, દેશના બધા જ વિપક્ષો આવતી 31મી માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં કેજરીવાલની ધરપકડના વિરોધમાં રૅલી યોજશે.
શરદ પવારે પત્રકારોને જણાવ્યું હતું કે, કેજરીવાલનો ગુનો શું છે? તેમણે શરાબ અંગે નીતિ ઘડી છે. તે નીતિ તો બધાં રાજ્યો ઘડે છે. દેશની રાજધાની દિલ્હીના મુખ્ય પ્રધાન જેલમાં છે. મની લૉન્ડરિંગ અંગે ઝારખંડના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા આદિવાસી નેતા હેમંત સોરેન પણ જેલમાં છે. તેઓ હોદ્દા ઉપરથી રાજીનામું આપી ચૂક્યા છે એમ શરદ પવારે ઉમેર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે દિલ્હીની શરાબનીતિ અંગેના પ્રકરણમાં ઈડીએ કેજરીવાલની ગત 21મી માર્ચે ધરપકડ કરી હતી. તેમને પહેલી એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. કેજરીવાલની ધરપકડના વિરોધમાં બધા વિરોધ પક્ષો દ્વારા 31મી માર્ચે રામલીલા મેદાનમાં રૅલી યોજવામાં આવશે.