નવી દિલ્હી, તા. 29 : કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ)એ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (અજિત પવાર જૂથ)ના નેતા પ્રફુલ્લ પટેલ સામે 2017માં નોંધાયેલા ભ્રષ્ટાચારના એક કેસને બંધ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, પ્રફુલ્લ પટેલ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એન.ડી.એ.)માં સામેલ થયા તેને હજી માત્ર આઠ મહિના જ થયા છે, ત્યારે તેમના વિરુદ્ધ નોંધાયેલા એર ઇન્ડિયા એરલાઇન્સ મામલે સીબીઆઇમાં કેસ બંધ કરવા અરજી કરી દીધેલી છે.
મે-2017માં ઉચ્ચ ન્યાયાલયના આદેશ પર સીબીઆઇએ એર ઇન્ડિયા માટે વિમાન લીઝ પર આપવામાં અનિયમિતતાના આરોપની તપાસ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એર ઇન્ડિયાના અધિકારીઓ વિરુદ્ધમાં કેસ નોંધવામાં આવ્યો હતો, તે સમયે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં પ્રફુલ્લ પટેલ ઉડ્ડયન પ્રધાન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ સાત વર્ષ સુધી આ કેસ પર તપાસ કર્યા બાદ હાલમાં સીબીઆઇએ કેસ બંધ કરી દીધો છે.