• રવિવાર, 11 જાન્યુઆરી, 2026

શિક્ષકો કે સબ બંદર કા બંદા?

નિ:સંદેહ ગુરુ - શિક્ષકનું મહત્ત્વ ખૂબ જ છે, પણ આપણાં સરકારી તંત્રએ અને નીતિ - નવાં આયોજનોને લીધે શિક્ષકને `સબ બંદર કા બંદા' બનાવી દીધા છે. કોઈ સર્વે કરાવવો છે તો કામ સોંપો શિક્ષકને, ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં શિક્ષક, વસતિગણતરી શિક્ષકને, મતદાર યાદી શુદ્ધીકરણનાં કામની મુખ્ય જવાબદારી શિક્ષકને અપાણી, ચૂંટણી - આધાર કાર્ડ લિન્કનું કામે શિક્ષકને સોંપાયું. હદ તો ત્યાં થઈ કે પાંચ વર્ષ પહેલાં કોરોના સમયે શિક્ષકોને શાળાઓ માટે રૅશન જોખીને આપવાનો હુકમ થયો હતો. સામાજિક પ્રસંગોમાં થતો અનાજનો બગાડ રોકવામાંય શિક્ષકને સામેલ કરાતો ત્યારે વિરોધ ઊઠયો હતો.

બિહારના સાસારામમાં નગર નિગમે બેહૂદું ફરમાન જારી કરીને હદ કરી નાખી. નગર નિગમે શિક્ષકોને રસ્તે રહેતા શેરીશ્વાનોની ગણતરી કરવાનું કામ સોંપ્યું. રખડતાં શ્વાનોનો મુદ્દો દેશભરમાં ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આકરો મિજાજ અપનાવીને રખડતાં શ્વાનોની સમસ્યાનો ઉપાય કરવા ફરમાન છોડયા છે. ન્યાયમૂર્તિએ સામાન્ય જનનાં મનની વાત કરી છે કે રસ્તા પર દોડતા શ્વાન તેની પાસેથી પસાર થતાં વાહનો વિશેષ તો ટુ-વ્હીલર્સ અને સાઈકલચાલકો માટે ખતરનાક હોય છે. પડી જવાથી ચાલકોને અસ્થિભંગથી હેમરેજ સહિતની ગંભીર ઇજા થાય છે અને કેટલાય કિસ્સામાં જીવન ગુમાવવાની નોબત આવે છે. સાસારામમાં શિક્ષકોને સોંપાયેલી વિચિત્ર કામગીરીની વાત પર પાછા આવીએ તો શિક્ષણ આલમમાં તેની ટીકા થઈ રહી છે. બિહારના શિક્ષકો વિષમ પરિસ્થિતિને લઈને પહેલેથી દબાવમાં છે. છાત્રોને ભણાવવાની શૈક્ષણિક જવાબદારી અને બિનશૈક્ષણિક કામગીરીના વધતા બોજ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. ઈતર કામમાં કલાકો વીતાવતા શિક્ષક પાસે છાત્રોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની તાજગી, સમય કે ઉત્સાહ બચતાં નથી.

શિક્ષકો ગુરુ કહેવાય. એક નહીં, અનેક પેઢીનું ઘડતર કરવાની તેમની જવાબદારી છે. સમૃદ્ધ ભારતનું ભવિષ્ય આજના છાત્રો જ છે. ગુણવત્તાયુક્ત શિક્ષણના અભાવે તેમનો પાયો નબળો પડે એ ન જ ચાલે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ