• રવિવાર, 07 જૂન, 2026

રાજધાનીમાં લાક્ષાગૃહ : યહ આગ કબ બૂઝેગી?

દિલ્હીની એક હૉટલમાં લાગેલી આગે 21 વ્યક્તિના જીવ લીધા છે. ઘટના દિલ્હીની છે, પરંતુ તેની જ્વાળાઓ દેશના અન્ય હિસ્સાઓમાં પણ ફેલાઈ શકે. આવા ઘાતક બનાવ રાજધાની સિવાયનાં શહેરોમાં પણ બનતા આવ્યા છે. આપણી પ્રજા હોય કે પ્રશાસન, સમસ્યા એ છે કે આવી આગ લાગે ત્યારે જ બન્ને કૂવો ખોદવા બેસે છે. હવે આ આગની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ-એસઆઇટીની રચના થશે. તે એક રિપોર્ટ આપશે. તેના ઉપરથી એસઓપી બનશે જેનું પાલન સૌ કોઈ માટે ફરજિયાત એવી જાહેરાત થશે. પછી બધા તે ભૂલી જશે, આવો બીજો બનાવ ન બને ત્યાં સુધી!

ફ્લોરિશ સ્ટે નામની હૉટલમાં રેસ્ટોરન્ટવાળા હિસ્સામાં આગ ફાટી નીકળી, જોતજોતામાં આખી ઇમારત મહાભારતના લાક્ષાગૃહની જેમ સળગી ઊઠી, માણસો સળગવા લાગ્યા. ગૂંગળાઈ જવાથી જેમને ગભરામણ થઈ તેમને જ્યારે પ્રાથમિક સારવાર સીપીઆર એટલે કે ફેફસાં-હૃદયનું પમ્પિંગ કરવામાં આવ્યું ત્યારે તેમના મોઢામાંથી કાળો ધુમાડો નીકળ્યો. નેશનલ ક્રાઈમ રેઈટ બ્યૂરોના સંદર્ભ અનુસાર કૉમર્શિયલ સંકુલોમાં આગ લાગવાથી આખા દેશમાં 2024માં 249 લોકોનાં મૃત્યુ થયાં હતાં. 2023માં આ સંખ્યા 241 હતી. 2022માં  219 માણસોના જીવ આગને લીધે ગયા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં આ સંખ્યામાં વધારો થતો આવ્યો છે.

બીલ્ડર્સની નફાખોરીની વૃત્તિને લીધે અગ્નિશમન વ્યવસ્થા અધૂરી અને અયોગ્ય. આગની ઘટના વખતે બહાર જવાના રસ્તાનો અભાવ, અગ્નિશમન સુવિધા માટેની વ્યવસ્થાની ચકાસણીમાં ગોટાળા, પૈસા લઈને ખરીદાયેલું ખોટું ‘નો ઓબ્જેક્શનસર્ટિફિકેટ. ક્યારેય ચકાસણી થતી નથી. મકાન બને તેમાં અને તે પૂર્વે મુકાયેલા પ્લાનમાં પણ તફાવત, ક્યાંક પાર્કિંગ નહીં, બાલ્કની નહીં. નગરપાલિકા કે મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ જાણે આવી બધી બાબતોની ચકાસણી માટે દૃષ્ટિહીન બની જાય છે. તેમને આવા ગોટાળા દેખાતા નથી. જ્યાં અગ્નિશમનની સુવિધા-સાધન ન હોય તે મકાનના ઉપભોક્તાઓ કે નિર્માતાઓને દંડ ફટકારવાનો હોય તેને બદલે તેની પાસેથી અધિકારીઓ લાંચ લેતાં હોય છે.

ઇમારતનું નિર્માણ કોઈ રાજકીય વ્યક્તિની ભાગીદારીથી થયું હોય તે પણ નકારી શકાય નહીં અને એવું ન હોય તો પણ એ લોકોની ભલામણ કે સંમતિ તો હોય જ છે. રાજકોટમાં બે વર્ષ પહેલાં થયેલા ટીઆરપી અગ્નિકાંડ, સુરતમાં 2019માં કોચિંગ ક્લાસના મકાનમાં લાગેલી આગ, રાજકોટમાં 2024માં એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગ સહિતના અનેક બનાવ બન્યા છે. ફાયર બ્રિગેડ પાસે જવાબ છે કે સ્ટાફ નથી. પ્રશાસન પાસે જવાબ છે કે બધી ચકાસણી થાય જ છે.

દિલ્હીમાં જે બન્યું તે કોઈપણ શહેરમાં બની શકે અને બને છે. ઘટના પછી તેનું પૃથક્કરણ કરવું તેના કરતાં તે બન્યા પૂર્વે પગલાં ભરાય અને નીતિમત્તાનાં ધોરણોનું પાલન થાય તો ઘણા જીવ બચી શકે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ