સંસદીય સમિતિ કે સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસની વિપક્ષની માગ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 2 : અદાણી ગ્રુપ વિશે હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર ચર્ચાની વિરોધ પક્ષની માગણી પર ધાંધલધમાલ બાદ સંસદનાં બંને સદન ગુરુવારે આખા દિવસ માટે સ્થગિત કરી દેવાયાં હતાં. સરકારે વિરોધ પક્ષની માગણી સ્વીકારી નહોતી. કૉંગ્રેસે એવો પણ આક્ષેપ ર્ક્યો હતો કે તેમને અદાણી મુદ્દો ઉઠાવતા રોકવા માટે સંસદનાં બંને સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી.
સંયુક્ત વિરોધ પક્ષે સંસદનાં બંને સદનમાં હિન્ડનબર્ગ રિપોર્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એ મુદ્દે ચર્ચાની માગણી કરી હતી. આ મુદ્દે ઘણા સભ્યો દ્વારા સ્થગિતતાની નોટિસને બંને સદનના અધ્યક્ષ દ્વારા નકારાયા બાદ વિરોધ પક્ષોએ ધાંધલ મચાવી હતી. પરિણામે લોકસભા અને રાજ્યસભાને એ દિવસ માટે સ્થગિત કરવા પડયાં હતાં. બંને સદનમાં કોઈ કામકાજ થયું નહોતું.
પ્રસાર માધ્યમોને માહિતી આપતાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું હતું કે તેમણે અને અન્ય વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટ અથવા સંયુક્ત સંસદીય સમિતિની દેખરેખમાં અદાણી ગ્રુપ પર કરવામાં આવેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરી હતી.
ખડગેએ જણાવ્યું હતું કે જાહેર હિતને ધ્યાનમાં રાખીને અમે અદાણી મુદ્દે તપાસ ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની કંપનીઓની હિન્ડનબર્ગ દ્વારા ખુલ્લી પાડવામાં આવેલી કંપનીઓમાં રોકાણ માટે કરવામાં આવતા દબાણની પણ તપાસ થવી જોઈએ અને એનું રોજે-રોજ રિપોર્ટિંગ પણ થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે તેમની સાથે વિરોધ પક્ષના અન્ય આઠ સાંસદોએ પણ અદાણી ગ્રુપની કટોકટી અને એલઆઈસી તથા એસબીઆઈ જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓના રોકાણ અંગે ચર્ચા કરવા નોટિસ આપી હતી, પરંતુ અમે જ્યારે પણ નોટિસ આપી છે ત્યારે અધ્યક્ષે એનો સ્વીકાર ર્ક્યો નથી.
સદનની કાર્યવાહી પહેલાં સમાન વિચારધારા ધરાવતા વિરોધી પક્ષના નેતાઓ ખડગેની ચેમ્બરમાં મળ્યા હતા. એમાં કૉંગ્રેસ, ડીએમકે, એઆઈટીસી, એસપી, જેડી (યુ), શિવસેના, સીપીઆઈ (એમ), સીપીઆઈ, એનસીપી, આઈયુએમએલ, એનસી, આપ અને કેરળ કૉંગ્રેસનો સમાવેશ થાય છે.
રાજ્યસભામાં ચૅરમૅન જગદીપ ધનખરે મલ્લિકાર્જુન ખડગે સહિત નવ સભ્યોની સસ્પેન્શન નોટિસ રદ કરી દીધી હતી જેને કારણે સૂત્રોચ્ચાર થયા હતા. નોટિસ રદ કરતી વખતે ચૅરમૅને જણાવ્યું હતું કે નોટિસનો સ્વીકાર કરી શકાય એ અૉડર્રમાં નથી અને તેમણે આઠમી ડિસેમ્બરના નોટિસની સ્વીકૃતિ અને અસ્વીકૃતિ અંગેના નિયમ 267નો સંદર્ભ આપ્યો હતો.
લોકસભામાં ધાંધલધમાલ વચ્ચે સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશીએ વિરોધ પ્રદર્શન કરી રહેલા સંસદસભ્યોને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના અભિભાષણ પર ચર્ચા કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે સદન ચર્ચા કરવા માટે છે અને બધા સભ્યોને એમાં ભાગ લેવાની અપીલ કરી હતી. જોકે, ધાંધલધમાલ ચાલુ રહેતાં સદનની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દેવાઈ હતી.